ઉનાળામાં વનવિભાગ દ્વારા ઉભી કરવામાં આવી આ વ્યવસ્થા, જ્યાં એકીસાથે 14 સિંહોની થઈ ઝાંખી!જુઓ વિડીયો અને જાણો વિગતો…

ઉનાળો દિવસેને દિવસે તેનું જોર વધારી રહ્યો છે, ત્યારે સમગ્ર જીવસૃષ્ટિ પર તેની અસર જોવા મળી રહી છે. ગીરમાં રહેતા વન્યપ્રાણીઓ અને જંગલના રાજા સિંહ પણ આ ગરમીમાં આકુળ વ્યાકુળ બની રહ્યા છે. ધારી ગીર પુર્વના ખાંભા-તુલસીશ્યામ રેન્જમાં ગુજરાતમાં સૌથી વધારે સિંહોની વસ્તી હોવાનું માનવામાં આવે છે, ત્યારે હાલ ખાંભા સહિતના ગીર વિસ્તારમાં ઉનાળામાં છેલ્લા બે દિવસથી 46 ડીગ્રી તાપમાન પહોંચ્યું છે. ધારી ગીર પૂર્વના ફોરેસ્ટ અધિકારીઓનાં માર્ગદર્શન અને સૂચનાથી વનવિભાગ દ્વારા ખાંભા તુલસીશ્યામ રેન્જના સિંહ અને વન્ય પ્રાણીઓની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

image source – google

ખાંભા તુલશીશ્યામ રેન્જમાં હાલ કુલ ૩૩ પાણીના પોઈન્ટ છે. આ બધા પોઈન્ટ જંગલમાં જ આવેલા છે, જેમાં 9 પાણીના પોઇન્ટ ટેન્કર દ્વારા ભરવામાં આવે છે, તેમજ 18 પાણીના પોઇન્ટ દરરોજ મજૂરો દ્વારા ભરવામાં આવે છે અને 6 પાણીના પોઇન્ટ પવનચક્કી દ્વારા ભરવામાં આવતા હોવાનું વન વિભાગે જણાવ્યું છે.

image source – google

ત્યારે આ વર્ષે દરેક પોઇન્ટ પર SATL Licks મૂકવામાં આવ્યા છે, જેથી ચિતલ હરણ સહિતના અન્ય વન્યપ્રાણીઓને ઉનાળાની ગરમીમાં વધારાના પોષક તત્વો મળી રહે તેની કાળજી લેવામાં આવી રહી છે. આ પ્રકારે દરેક સિંહ તથા સિંહ પરિવાર પર દરરોજ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થયું હતું, જે દ્રશ્યોમાં 14 સિંહનો એક પરિવાર એક સાથે એક પાણીના પોઈન્ટ પર મળીને પાણી પીને તસર છિપાવતા નજરે પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દ્રશ્યો ધારી રેન્જ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું હતું. જે વિડીયો અહિયાં નીચે ટાંકેલો છે.

કાળઝાળ ગરમીમાં વન્યપ્રાણીઓને તાત્કાલિક સારવાર આપી શકાય તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. તેના ઉદાહરણ સ્વરૂપે રબારીકા રાઉન્ડમાં એક સિંહને મોટા બારમણથી એક અઠવાડિયા પહેલા રેસ્ક્યુ કરી સારવાર આપેલી, જેને ગઈકાલે રાત્રિના સમયે છોડી દેવામાં આવ્યો. એવી જ રીતે બે દિવસ પહેલા દલડીમાં સિંહણના રેસ્કયુ બાદ તાત્કાલિક લોહી તપાસ કરી સારવાર કરી મુક્ત કરવામાં આવેલ. આ મુજબ સિંહો ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે.

ખાંભા તુલસીશ્યામ રેન્જમાં સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે, તેમજ કોદીયાવીડીમાં 10 થી 12 સિંહોનો પરિવાર વસવાટ કરતો હોય, જેને ધ્યાને લઇ વનવિભાગ દ્વારા નવી પાણીની કુંડી બનાવી ટેન્કર દ્વારા ભરવામાં આવી રહી છે. તેમજ અન્ય ત્રણ થી ચાર નવા પાણીના પોઇન્ટ વનવિભાગે ઉભા કર્યા છે જેથી કરી હાલ ઉનાળાની ગરમીથી સિંહ અને વન્ય પ્રાણીઓને આરામ મળી શકે.

https://www.facebook.com/aapdujunagadh/videos/371851723416312/

 

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com