જૂનાગઢની આ યુનિવર્સિટીએ મેળવ્યું ગુજરાતની ચાર શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં સ્થાન! આવો જાણીએ સંપૂર્ણ વિગતો…

આપણાં જૂનાગઢનું ગૌરવ કહી શકાય એવી વિશ્વવિદ્યાલય એટલે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી. આ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત માટે વરદાન સ્વરૂપ બની ગઈ છે. ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓએ કૃષિ વિજ્ઞાન ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા જૂનાગઢ કૃષિ યુનિ.માં પ્રવેશ મેળવશે. ત્યારે આવો જાણીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વિશેની કેટલીક મહત્વની વાતો…

કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢએ જૂન, 1960થી પોતાનું કાર્ય શરૂ કર્યું. આ મહાવિદ્યાલય ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ સાથે વર્ષ 1967 સુધી જોડાયેલી રહી. જેના પછી 1968માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના રાજકોટમાં થયા પછી તેનું સ્થાનાંતર અને સંલગ્ન સૌરાષ્ટ્ર યુનિ. સાથે કરી દેવામાં આવ્યું. ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના ફેબ્રુઆરી, 1972માં કૃષિ શિક્ષણ, અનુસંધાન અને વિસ્તાર શિક્ષાના હેતુથી કરવામાં આવી. આ ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલાય અંતર્ગત ચાર અલગ-અલગ કૃષિ યુનિવર્સિટીઓની રચના કરવામાં આવી. જેમાંની એક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, 1લી મે, 2004ના રોજ અસ્તિત્વમાં આવી.

આ કૃષિ યુનિવર્સિટી દસ જિલ્લાઓનું જેવા કે અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીનું ઐતિહાસિક રૂપથી નેતૃત્વ સંભાળે છે. આ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં અનિશ્ચિત વરસાદ અને ઓછી ફળદ્રુપતાને ટક્કર આપીને આ કૃષિ યુનિવર્સિટી કામ કરી રહી છે. આ સૌરાષ્ટ્ર પ્રદેશના મુખ્ય પાકોમાં મગફળી, તલ, એરંડા, કપાસ, બાજરો, ઘઉં અને મસાલા મુખ્ય છે. જ્યારે કેસર કેરી મુખ્ય ફળમાં સામેલ છે. સૌરાષ્ટ્રના પશુઓની વાત કરીએ તો ગીર ગાય, જાફરાબાદી ભેંસ, ઝાલાવાડી બકરી અને કાઠી ઘોડા મુખ્ય છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કૃષિ વિજ્ઞાન અર્થાત કૃષિ, બાગાયતી, કૃષિ એન્જીનિયરીંગ, મત્સ્ય વિજ્ઞાન, પશુ ચિકિત્સા વિજ્ઞાનનું અધ્યયન કરાવવામાં આવે છે. કૃષિ યુનિવર્સિટીની સ્થાપના 1960માં થઇ અને જૂનાગઢમાં થઈ ત્યારબાદ વર્ષ 1984માં કૃષિ અભિયાંત્રિક અને પ્રાયોગિક મહાવિદ્યાલયની સ્થાપના થઇ. જ્યારે વર્ષ 1991માં કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સની શરૂઆત કરવામાં આવી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં બેકરી અને બાગાયતી માળીની તાલીમ આપતા સર્ટિફિકેટ કોર્ષ પણ અહી કરવવામાં આવે છે. આ ઉપરાંત જૂનાગઢ અને મહુવા ખાતે કૃષિ આધારિત આઇટીઆઇ કેન્દ્રો પણ ચલાવવામાં આવે છે.

અન્ય સુવિધાઓ ઉપર નજર કરવામાં આવે તો, અહિયાં કેન્દ્રિય પુસ્તકાલય, 24 કલાક ઇન્ટરનેટ કનેક્ટિવિટી, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, જિમ્નેશીયમ, આરોગ્ય કેન્દ્ર વગેરે સુવિધાઓ પરીસરમાં જ ઉપલબ્ધ છે. જે વિદ્યાર્થીઓને તેઓના જીવન વિકાસમાં મદદરૂપ કરતું વાતાવરણ પૂરું પાડે છે.

હાલમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને ગુજરાતની શ્રેષ્ઠ ચાર યુનિવર્સીટીમાં સ્થાન મળ્યું છે. ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓનું એન.આર.આઈ.એફ. રેન્કીંગ બહાર પાડવામાં આવ્યું હતું. આ રેન્કીંગમાં 1 થી 150 રેન્કમાં ગુજરાતની માત્ર ચાર યુનિવર્સિટીઓનો સમાવેશ થયો, જેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ચોથા નંબરે સામેલ છે. આ ઉપરાંત અન્ય ત્રણ યુનિવર્સિટીઓમાં આઈ.આઈ.ટી. ગાંધીનગર, આણંદ કૃષિ યુનિવર્સિટી અને આણંદ અને ગુજરાત યુનિવર્સિટી, ગાંધીનગરનો સમાવેશ થાય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને મળેલી આ સિદ્ધિ જૂનાગઢ માટે ગૌરવની વાત કહી શકાય.