ગીરના 8 સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે લઈ જવાશે

થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી વચ્ચે જૂનાગઢના સક્કરબાગ ઝૂના 11 સિંહ ઉત્તર પ્રદેશને આપવાની સહમતિ થઇ હતી. જે બાદ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 8 સિંહના સ્થળાંતરની મંજૂરી આપવામાં આવી છે. આ 8 સિંહોને વિમાન મારફતે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બની રહેલા ‘શહીદ અશફાક ઉલ્લાહ ખાં પ્રાણી સંગ્રહાલય’માં મોકલવામાં આવશે. આ પ્રાણી સંગ્રહાલય 121.342 હેકરમાં ફેલાયેલું હશે. જેમાં 33 મોટા પાંજરાઓ હશે. આ પ્રાણી સંગ્રહાલયમાં સિંહને રાખવા માટે 2750 મીટર વર્ગનું પાંજરું બનાવવામાં આવશે.

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં નિર્માણ પામી રહેલા શહીદ અશફાક ઉલ્લા ખાન પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ કાર્ય ચાલુ છે. જે જુલાઇ માસ સુધીમાં પૂર્ણ થઈ જશે. પ્રાણીસંગ્રહાલય નું નિર્માણ કાર્ય પૂર્ણ થતા જ ઈંટાવામાં રહેલા એક નર અને બે માદા સિંહને ગોરખપુર પ્રાણીસંગ્રહાલયમાં લાવવામાં આવશે.

જ્યારે આપણાં જૂનાગઢ શહેરમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતેથી બે નર અને છ માદા સિંહને સેનાના હવાઈ જહાજ દ્વારા હવાઈ સફર કરાવીને ઉત્તર પ્રદેશના ઈંટાવા લાયન સફારી લઇ જવામાં આવશે, જ્યાંથી તેનું શહીદ અશફાક ઉલ્લા ખાન પ્રાણીસંગ્રહાલય ખાતે સ્થાનાંતર કરવામાં આવશે.

સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ થોડાં સમય પહેલાં જ ગુજરાતનાં ગીર સિંહોને ઉત્તરપ્રદેશ ખાતે મોકલવાની મંજૂરી આપી હતી. ત્યારે ઉત્તર પ્રદેશથી ઈંટાવા સફારી તેમજ ગોરખપુર પ્રાણી સંગ્રહાલયના કર્મચારી અને અધિકારીઓ સિંહોને લેવા માટે ત્યાંથી રવાના થઇ ગયા હતા. પરંતુ અડધે રસ્તે આવતા અજમેર ખાતે તાપમાનમાં ભારે વધારો જોવા મળ્યો, ત્યારે અધિકારીઓમાં ચિંતાના વાદળ ફરી વળ્યાં.

ત્યારે અધિકારીઓને સિંહોને સડક માર્ગથી યુપી સુધી લાવવાનું ઉચિત્ત ન લાગ્યું, જેથી તેઓ પરત ફર્યા હતા. જ્યારે 1લી મે ના રોજ સિંહોને લાવવા માટેની તમામ પૂર્વ તૈયારીઓ થઈ ચુકી હતી. વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ વધારે હોવાથી સિંહોને સડક માર્ગને બદલે હવાઈ માર્ગથી લાવવાનો નિર્ણય કર્યો.

આ નિર્ણય બાદ શાસન તંત્રએ રક્ષા મંત્રાલયને પત્ર લખીને સિંહો લાવવા માટે હવાઈ જહાજ આપવાનો પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવને પૂર્ણ કરવા માટે આઠ સિંહોનો વજન, તેમના પિંજરાનો વજન અને સાથે આવતાં કર્મચારીઓ-અધિકારીઓનો વજન ને જોડીને એક યોજના તૈયાર થઈ. જે યોજના મુજબ 2500 કિલોગ્રામ વજન ઊંચકવાની ક્ષમતા ધરાવતું ખાસ વિમાન મોકલવાનો પ્રસ્તાવ મુકાયો. આગામી દિવસોમાં રક્ષા મંત્રાલય દ્વારા મુકાયેલા પ્રસ્તાવની અનુમતિ મળે, તેની પ્રતીક્ષા થઈ રહી છે. જેવી અનુમતિ મળશે કે તરત જ વિમાન દ્વારા સિંહોને યુપી લાવવામાં આવશે.

નિર્માણ પામી રહેલા શહીદ અશફાક ઉલ્લા ખાન પ્રાણી સંગ્રહાલયમાં સિંહોને રાખવા માટેના ખાસ પિંજરા તેમજ ખુલ્લી જગ્યાઓનું નિર્માણકાર્ય ચાલું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આ ઉપરાંત કાનપૂર ખાતે થી બે ગેંડા પણ આ સંગ્રહલયમાં લાવવામાં આવશે, તેવું જાણવા મળી રહ્યું છે.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com