આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

કાળીચૌદશ

કાળીચૌદશ : દિવાળી પર્વની શરૂઆત મુખ્યત્વે ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરીને થાય છે. તેના પછીનાં દિવસે આવતો પર્વ એટલે કાળીચૌદશ.
કાળીચૌદશના દિવસે તાંત્રિકો મહાકાલિકાની પૂજા કરતા હોય છે અને સામાન્ય લોકો હનુમાનજીની પૂજા કરે છે તેમજ ઘરમાંથી કકળાટ કાઢવાની વિધિ કરે છે. આખા વર્ષ દરમિયાન જે ઝગડા કે કંકાસ થયા હોય તેનો કકળાટ દિવાળીની પૂર્વ સંધ્યાએ એટલે કે કાળીચૌદસ ના દિવસે સાંજે આ વિધિ કરવામાં આવે છે. જેથી દિવાળી આનંદ, ઉલ્લાસ અને સ્નેહથી ઉજવી શકાય. કાળીચૌદશની સાંજે લોકો તેલમાં તળેલાં વડા ઘરના સભ્યોના માથા પરથી ઉતારી તેને ચાર રસ્તે દિવા સાથે મુકાય છે અને ફરતે પાણીની ધાર કરી કુંડાળા કરે છે. આ વિધિને કકળાટ કાઢવાની વિધિ કહેવાય છે. અમુક ગામ કે શહેરમાં તો લોકો થાળી વગાડતાં-વગાડતાં કકળાટ કાઢવા જાય છે.
કાળીચૌદશ
આ દિવસે કૃષ્ણ તેમજ સત્યભામાએ નરકાસુરનો સંહાર કરીને સોળહજાર કન્યાઓને નરક જેવી કારાગારની કોટડીમાંથી મુક્ત કરી પ્રકાશગૃહમાં લઈ ગયા હતાં. તેમજ વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરી બલીરાજાને પાતાળનાં અંધકારમાં ધકેલી દીધા. તેથી આ દિવસને નરકચતુર્દશી પણ કહે છે.
કાળીચૌદશને રૂપચૌદશ પણ કહેવામાં આવે છે. કેમ કે આ દિવસે સ્ત્રીઓ જાતે બનાવેલું કાજળ પોતાની આંખોમાં આંજે છે. જેનાથી રૂપ ખીલી ઊઠે છે અને કોઇની નજર પણ લાગતી નથી. ઉપરાંત આ દિવસે શરીરની ક્રાંતિ(રૂપ) વધારવા તલના તેલની માલિશ કરાય છે. તલના તેલમાં લક્ષ્મીનો વાસ હોવાથી તલના તેલનું સેવન દેહની સુંદરતા વધારે છે. તેથી કાળી ચૌદશ ને રૂપ ચૌદશ પણ કહે છે.
કાળીચૌદશ
જેમ અંધકારમાંથી પ્રકાશનું કિરણ પ્રગટે જ છે તેમ આ અંધારી રાત્રી પછી પ્રકાશ ભરેલી ઝળહળતી રાત્રી એટલે કે દિવાળી આવે જ છે.તો તમે પણ આખા વર્ષ દરમિયાન થયેલા કકળાટને મનમાંથી કાઢી નવા વર્ષને હર્ષોલ્લાસ અને સંપથી ઉજવવા તૈયાર થઈ જાઓ.

Author : Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : ભાજપ ના આ દિગ્ગજ નેતાનું થયું નિધન,રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનએ પણ દૂ:ખ વ્યકત કર્યું ,ઓમ શાંતિ

આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!